સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનો પ્રેમ માની મમતામાં દેખાય છે!

ઈશ્વરનો પ્રેમ માની મમતામાં દેખાય છે!

ઈશ્વરનો પ્રેમ માની મમતામાં દેખાય છે!

‘શું, સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? હા, કદાચ તેઓ ભૂલે, પરંતુ હું તને ભૂલીશ નહિ.’—યશાયાહ ૪૯:૧૫.

તાજા જન્મેલા બાળકને ધવડાવતી માની કલ્પના કરો. એ દૃશ્યમાં માની મમતા ઊભરાય છે. પામ નામની એક બહેન કહે છે: “મેં પહેલી વાર જ મારી બેબીને ગોદમાં લીધી, એ પળ હું કદી ભૂલીશ નહિ. એક નવી જિંદગી મારા હાથમાં ધબકતી હતી.”

સંશોધકોને જાણવા મળ્યું છે કે માના પ્રેમથી બાળક ફૂલની જેમ ખીલી ઊઠે છે. એક અહેવાલ પ્રમાણે “જે કોઈ બાળકને એની મા છોડી દે અથવા તેનાથી છૂટું પડી જાય, એ બાળક ઉદાસ બની જાય છે. મૂંઝાઈ જાય છે.” એ જ અહેવાલ જણાવે છે કે જે બાળકોને જન્મથી જ માનો પ્રેમ મળ્યો હોય, તેઓ વધારે હોશિયાર બને છે.—વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો માનસિક તંદુરસ્તી પરનો પ્રોગ્રામ.

માનસિક રોગોના પ્રોફેસર એલન શોરે, માના પ્રેમ વિષે કહ્યું: “બાળકનો તેની મા સાથેનો શરૂઆતનો સંબંધ બહુ જ મહત્ત્વનો છે. એના આધારે બાળક ઘડાય છે કે આગળ જતા તે કેવું બનશે, બીજા સાથે કેવા સંબંધો બાંધશે.”—અમેરિકાની યુસીએલએ સ્કૂલ ઑફ મેડિસિનના પ્રોફેસર.

દુઃખની વાત છે કે અમુક માતાઓ ડિપ્રેશન, બીમારી કે બીજા કોઈ કારણે પોતાના બાળકનું બરાબર ધ્યાન રાખી શકતી નથી. અમુક તો પોતાના ‘ધાવણા બાળકને ભૂલી પણ જાય’ છે. (યશાયાહ ૪૯:૧૫) મોટા ભાગે દરેક માને પોતાનું બાળક જીવની જેમ વહાલું હોય છે. સંશોધકોને જાણવા મળ્યું છે કે સ્ત્રી અને પુરુષમાં ઑક્સિટોસીન નામનું હોર્મોન પેદા થતું હોય છે. બાળકને જન્મ આપતી વખતે માના શરીરમાં એ વધારે પ્રમાણમાં પેદા થાય છે. એ ગર્ભાશયને સંકોચાવા મદદ કરે છે. બાળક માટે દૂધ પેદા કરવા પણ માને મદદ કરે છે. એ હોર્મોનના કારણથી માની મમતા બેહદ વધે છે.

આપણામાં પ્રેમ ક્યાંથી આવ્યો?

ઉત્ક્રાંતિમાં માનનારાનું કહેવું છે કે પહેલાના અમુક શક્તિશાળી પ્રાણીઓની જાતિ વિકાસ પામતી ગઈ. એમાંથી પ્રેમનો ગુણ આપોઆપ આવી ગયો, જેના લીધે મા પોતાના બાળક પર પ્રેમ રાખે છે. દાખલા તરીકે, એક વેબસાઇટ જણાવે છે: ‘પેટે ચાલનારાં પ્રાણીઓમાંથી આપણી ઉત્ક્રાંતિ થઈ ત્યારે, આપણા મગજમાં લાગણીઓ (લીમ્બીક સિસ્ટમ) પેદા થવા માંડી. મગજના આ ભાગમાંથી મા-બાળક વચ્ચેનો પ્રેમ ખીલે છે.’—મધરીંગ મૅગેઝિનની વેબસાઇટ.

ખરું કે મગજનો અમુક ભાગ લાગણીઓ પેદા કરે છે. તોપણ, શું એ માનવું વાજબી છે કે પેટે ચાલનારાં પ્રાણીઓના મગજમાંથી આપોઆપ એવો પ્રેમ જાગ્યો હશે?

બાઇબલ કહે છે કે ઈશ્વરે પોતાના જેવા જ ગુણો અને લાગણી સાથે માણસને ઉત્પન્‍ન કર્યો છે. (ઉત્પત્તિ ૧:૨૭) ઈશ્વરના પ્રેમનો દાખલો લો. ઈશ્વરભક્ત યોહાને લખ્યું: “જે પ્રેમ કરતો નથી, તે દેવને ઓળખતો નથી; કેમ કે દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) એનો અર્થ એવો નથી કે ઈશ્વરમાં અમુક હદે જ પ્રેમ છે. પણ ઈશ્વર પોતે પ્રેમ છે, તેમની રગેરગમાં પ્રેમ છે!

બાઇબલ પ્રેમ વિષે આમ કહે છે: ‘પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ બડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખિજવાતી નથી, અપરાધને લેખવતી નથી; અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે; સઘળું ખમે છે, સઘળું ખરૂં માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી.’ (૧ કોરીંથી ૧૩:૪-૮) શું આવો પ્રેમ આપણામાં આપોઆપ આવી શકે છે?

ઈશ્વર વિષે તમને કેવું લાગે છે?

આપણે ઉપરના ફકરામાં પ્રેમનું સુંદર વર્ણન જોયું. શું તમને પણ એવા જ પ્રેમની આરઝૂ જાગે છે? આપણે એવું ચાહીએ છીએ, કેમ કે ‘આપણે ઈશ્વરનાં સંતાનો છીએ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૯) ઈશ્વરે આપણને એ રીતે બનાવ્યા છે કે બીજાને પ્રેમ આપી શકીએ અને પ્રેમ અનુભવી શકીએ. અરે, ઈશ્વરનો પ્રેમ પણ અનુભવી શકીએ. આ લેખની શરૂઆતમાં જોયું તેમ ઈશ્વરનો પ્રેમ માના પ્રેમ કરતાં પણ ચડિયાતો છે.—યોહાન ૩:૧૬; ૧ પીતર ૫:૬, ૭.

પરંતુ, એ ખરું હોય તો ઈશ્વર કેમ બાળકોને મરવા દે છે? કેમ દુનિયામાં થતો જુલમ રોકતા નથી? સ્વાર્થી લોકો પૃથ્વીનો નાશ કરે છે, તોય કેમ જોયા કરે છે?

ઘણાનું માનવું છે કે આ પ્રશ્નોના કોઈ જવાબ જ નથી. પણ આજે આખી દુનિયામાં લાખો લોકોને એના જવાબ મળ્યા છે. યહોવાહના સાક્ષીઓ સાથે તેઓ બાઇબલમાંથી ઈશ્વર વિષે શીખ્યા છે. સૃષ્ટિ વિષે શીખ્યા છે. તેઓની શ્રદ્ધા વધી છે. અમારી દુઆ છે કે તમે પણ એમ જ કરશો, કેમ કે ‘ઈશ્વર આપણાથી દૂર નથી.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭. (w08 5/1)

[Blurb on page 8]

ઈશ્વરનો પ્રેમ માના પ્રેમ કરતાં પણ ચડિયાતો છે