સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તંદુરસ્તી

તંદુરસ્તી

બાઇબલ દવા અને સારવારને લગતું પુસ્તક નથી. પણ એમાં એવી સલાહ આપેલી છે, જેનાથી આપણું શરીર તંદુરસ્ત રહી શકે. ચાલો અમુક બાઇબલ સિદ્ધાંતો તપાસીએ, જેનાથી તમને તંદુરસ્ત રહેવા મદદ મળશે.

શરીરની સંભાળ રાખો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “કોઈ માણસ કદી પોતાના શરીરનો ધિક્કાર કરતો નથી, પણ એનું પાલનપોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે.” —એફેસીઓ ૫:૨૯.

એનો શું અર્થ થાય: બાઇબલના એ સિદ્ધાંતથી ઉત્તેજન મળે છે કે શરીરની સંભાળ રાખવા આપણે બનતું બધું કરવું જોઈએ. એક અહેવાલ જણાવે છે કે, લોકો જીવનમાં જે પસંદગીઓ કરે છે, એને લીધે શરીરને લગતી તકલીફો ઊભી થાય છે. સારી પસંદગી કરવાથી તબિયત સારી રહેશે.

તમે શું કરી શકો:

  • પોષણ: સારું પોષણ મળે એવો ખોરાક ખાઓ અને પૂરતું પાણી પીઓ.

  • કસરત: ભલે તમારી ઉંમર ગમે તે હોય, કસરત કરવાથી તમે તંદુરસ્ત રહી શકો છો. તમારું શરીર કમજોર હોય અથવા બીમારીને લીધે વધારે કરી શકતા ન હો, તોપણ કસરત કરવાથી તમને ફાયદો થશે. કદાચ કુટુંબના સભ્યો, મિત્રો અને ડોક્ટરો તમને કસરત કરવાની સલાહ અને ઉત્તેજન આપશે. પણ ફાયદો તો ત્યારે જ થશે, જ્યારે તમે પોતે કસરત કરશો!

  • ઊંઘ: જે લોકોને લાંબા સમય સુધી પૂરતી ઊંઘ ન મળે, તેઓને ગંભીર બીમારી થઈ શકે છે. લોકો ઊંઘવાને સમયે બીજાં બીજાં કામો કરે છે, એટલે તેઓને જરૂરી ઊંઘ મળતી નથી. જો તમે પૂરતી ઊંઘ લેશો, તો તમે તંદુરસ્ત રહેશો.

ખરાબ આદતોથી દૂર રહો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ચાલો આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકીથી પોતાને શુદ્ધ કરીએ.”—૨ કોરીંથીઓ ૭:૧.

એનો શું અર્થ થાય: તમાકુ અને બીજા નશીલા પદાર્થો મોટી મોટી બીમારી અને મરણ નોતરે છે. એ બધાથી દૂર રહીશું તો આપણું શરીર તંદુરસ્ત રહેશે.

તમે શું કરી શકો: ખરાબ આદતો ક્યારે છોડશો, એની તારીખ નક્કી કરી લો. એ તારીખ આવે એ પહેલાં, સિગારેટ, એશ-ટ્રે, લાઇટર અને બીજી વસ્તુઓ ફેંકી દો. એવી જગ્યાએ જવાનું ટાળો, જ્યાં ખરાબ આદતોવાળા લોકો હોય. તમારા એ નિર્ણય વિશે પાકા મિત્રોને જણાવો.

પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો

જો તમને બાઇબલ જોઈતું હોય, તો યહોવાના સાક્ષીઓ પાસેથી એ મેળવી શકો

સલામતીનું ધ્યાન રાખો.

“જ્યારે તું નવું ઘર બાંધે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા પર ખૂનનો દોષ આવે નહિ.”—પુનર્નિયમ ૨૨:૮.

ગુસ્સો કાબૂમાં રાખો.

‘જે ક્રોધ કરવામાં ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.’—નીતિવચનો ૧૪:૨૯.

વધારે પડતું ન ખાઓ.

“ખાઉધરાની સોબત ન કર.”—નીતિવચનો ૨૩:૨૦.