સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૈસાનો ઉપયોગ

પૈસાનો ઉપયોગ

ઘણા લોકો બાઇબલની સલાહ પાળીને પૈસાને લગતી મુશ્કેલીઓ દૂર કરી શક્યા છે.

સારી યોજના બનાવો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘મહેનતુના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો ગરીબ થાય છે.’—નીતિવચનો ૨૧:૫.

એનો શું અર્થ થાય: યોજના બનાવ્યા પછી એને વળગી રહેશો તો સફળ થશો. એટલે ખર્ચો કરતા પહેલાં સારી યોજના બનાવો. યાદ રાખો, તમે જે ચાહો છો, એ બધું ખરીદી શકતા નથી. એટલે તમારા પૈસા સાચવીને વાપરો.

તમે શું કરી શકો:

  • ખર્ચા વિશે પહેલેથી વિચારો. દરેક ખર્ચાનું લિસ્ટ બનાવો. પછી એને અલગ અલગ વિભાગમાં વહેંચી દો, જેમ કે ખોરાક, કપડાં અને ઘર-ખર્ચ. દરેક વિભાગ માટે એક રકમ નક્કી કરો. જો એક વિભાગમાં ખર્ચ વધી જાય, તો બીજા વિભાગમાંથી પૈસા લઈને સરભર કરો. દાખલા તરીકે, જો પેટ્રોલનો ખર્ચો વધી જાય, તો બહાર જમવાનો ખર્ચો ઓછો કરી શકો. તમે એ પૈસા પેટ્રોલ માટે વાપરી શકો.

  • બિનજરૂરી દેવું ન કરો. બને ત્યાં સુધી દેવું ન કરો. પહેલાં પૈસાની બચત કરો. પછી, જરૂરી વસ્તુ ખરીદવા એ વાપરો. જો તમે ક્રેડિટ કાર્ડ વાપરતા હો, તો દર મહિને પૈસા ભરો, નહિતર ઘણું વ્યાજ ભરવું પડશે. જો દેવું થઈ ગયું હોય તો હપ્તાથી ચૂકવવાની ગોઠવણ કરો. નિયમિત રીતે હપ્તા ભરો.

    એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, જે લોકો પાસે ક્રેડિટ કાર્ડ હોય છે, તેઓ વધારે ખર્ચો કરે છે. એટલે જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, તો સમજી-વિચારીને એ વાપરો.

નુકસાન થાય એવું કંઈ ન કરો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘આળસુ શિયાળાનું બહાનું કાઢીને ખેડશે નહિ; તેથી તે ફસલમાં ભીખ માંગશે, પણ તેને કંઈ મળશે નહિ.’—નીતિવચનો ૨૦:૪.

એનો શું અર્થ થાય: આળસ ગરીબી તરફ લઈ જઈ શકે છે. એટલે મહેનતુ બનો. પૈસાનો યોગ્ય ઉપયોગ કરો, જેથી ભવિષ્યમાં જરૂરી વસ્તુઓ ખરીદી શકો.

તમે શું કરી શકો:

  • મહેનતુ બનો. તમે મહેનતુ અને જવાબદાર બનશો તો બોસને ગમશે અને તમારી નોકરી સલામત રહેશે.

  • પ્રમાણિક બનો. ચોરી ન કરો. જો પ્રમાણિક નહિ રહો, તો તમારી શાખ બગડશે અને બીજી નોકરી નહિ મળે.

  • લાલચું ન બનો. વધારે ને વધારે પૈસા મેળવવા મંડ્યા રહેશો તો તમારી તબિયત બગડશે. વધુમાં, લોકો સાથેના સંબંધ પર ખરાબ અસર પડશે. યાદ રાખો, પૈસા કરતાં જીવન મહત્ત્વનું છે.

પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો

ઓનલાઇન બાઇબલ વાંચો, એ jw.org પર ઘણી ભાષાઓમાં પ્રાપ્ય છે

ખોટી આદતો પાછળ સમય અને પૈસા ન વેડફો.

‘દારૂડિયો તથા ખાઉધરો કંગાળ થઈ જશે. અને ઘેન તેને ચિંથરેહાલ કરશે.’—નીતિવચનો ૨૩:૨૧.

પૈસાની વધારે પડતી ચિંતા ન કરો.

“તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો કે તમે શું પીશો; અથવા તમારા શરીરને ઢાંકવા શું પહેરશો.”—માથ્થી ૬:૨૫.

ઈર્ષા ન કરો.

‘ભૂંડો માણસ ધનદોલત પાછળ દોડે છે, અને જાણતો નથી કે પોતાને ત્યાં ગરીબી આવી પડશે.’—નીતિવચનો ૨૮:૨૨.